કેજરીવાલની ધરપકડને પડકારતી અરજી પર સુનાવણી: લીકર પોલીસી કેસમાં આમ આદમી પાર્ટીને આરોપી બનાવવામાં આવી, EDએ સુપ્રીમ કોર્ટને કરી જાણ
- 17 May, 2024
દિલ્હી લીકર પોલીસી સાથે જોડાયેલા મની લોન્ડ્રિંગ કેસમાં સીએમ અરવિંદ કેજરીવાલની ધરપકડને પડકારતી અરજી પર આજે બીજા દિવસે પણ સુનાવણી હાથ ધરાઈ હતી. આ દરમિયાન એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટે(ED) સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે દિલ્હીની સત્તારૂઢ આમ આદમી પાર્ટીને લીકર નીતિ કૌભાંડ મામલામાં આરોપી બનાવવામાં આવી છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દ્વારા દાખલ અરજી પર સુનાવણી દરમિયાન એડિશનલ સોલિસિટર જનરલ એસવી રાજૂએ સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે આજે પ્રોસિક્યુશન ફરીયાદ દાખલ કરવામાં આવી રહી છે અને આમ આદમી પાર્ટીને આરોપી બનાવવામાં આવી છે.
તપાસ એજન્સીનો આરોપ છે કે સાઉથ ગ્રુપ દ્વારા આપવામાં આવેલી 100 કરોડ રૂપિયાની લાંચમાંથી 45 કરોડ રૂપિયાનો ઉપયોગ આપ દ્વારા 2022માં ગોવા વિધાનસભા ચૂંટણી અભિયાનમાં કરવામાં આવ્યો હતો. એએસજી રાજૂએ આજે કોર્ટને જણાવ્યું કે લાંચ હવાલાના માધ્યમથી મોકલવામાં આવી હતી. એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ અત્યાર સુધીમાં મામલામાં 7 ચાર્જશીટ દાખલ કરી છે. 21 માર્ચે અરવિંદ કેજરીવાલ અને 15 માર્ચે કે.કવિતા સહિત 18 લોકોની અત્યાર સુધીમાં ધરપકડ કરવામાં આવી છે. આ મામલામાં ગત માર્ચમાં પૂર્વ ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાની પણ ધરપકડ કરવામાં આવી હતી અને તેઓ હાલ ન્યાયિક કસ્ટડીમાં છે.
દિલ્હી હાઈકોર્ટે એક મહત્વની ટિપ્પણી કરતા કહ્યું હતું કે રાજકીય પક્ષો પણ મની લોન્ડ્રિંગ કાયદાની કલમ 70ની સીમામાં આવે છે. કથિત લીકર કૌભાંડમાં પ્રિવેન્શન ઓફ મની લોન્ડ્રિંગ એક્ટની કલમ 70 લાગુ થાય છે. કલમ 70 કોઈ કંપની તરફથી કરાતા અપરાધોની સજાનું પ્રાવધાન કરે છે. હવે ઈડીએ આ મામલામાં આમ આદમી પાર્ટીને પણ આરોપી બનાવી છે.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
https://shorturl.at/hjzN0
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ